પ્રતાપનગર જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે 286 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓને પોલીસ કમિશનર શ્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.
વડોદરા શહેરમાં ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ જવાનો સાથે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓ પણ કાર્યરત છે. આ ટ્રાફિક બ્રિગેડની કુલ 900 જગ્યામાંથી 300 જગ્યા ખાલી હતી. જેને લઈને આ જગ્યાઓ ઉપર સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ કરીને 286 જેટલા માનદ સેવક સેવિકાઓને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારના હસ્તે આજરોજ નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.
આ માનદ સેવક સેવિકાઓને દસ દિવસની સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેમને ગણવેશ પણ અપાશે. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સાથે તેઓને પણ તૈનાત કરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું કે વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનાવવા ટ્રાફિક વિભાગમાં 30થી વધુ પોલીસ કર્મીઓને નિયુક્તિ આપવામાં આવી છે. સાથે જ સીટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરને આધુનિક બનાવાયું છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-ચલણ કરવા માટે 10 કર્મીઓને પણ નિમણૂક આપવામાં આવી છે.
આ પ્રસંગે પોલીસ કમિશનરે લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો શક્ય છે. ટ્રાફિક જવાનો અને માનદ સેવક સેવિકાઓ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે સતત મહેનત કરે છે, પરંતુ આ કાર્યમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે સામાન્ય નાગરિકો પણ નિયમોનું પાલન કરી સહભાગી બને. જો દરેક વાહનચાલક સાવધાનીપૂર્વક નિયમોનું પાલન કરે તો અકસ્માતનું પ્રમાણ ઘટશે અને ટ્રાફિક વ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી શકશે.
