વડોદરા સ્માર્ટ સિટી કે ‘કૉન્ક્રીટ સિટી’? — બેદરકાર કામગીરીથી પ્રજા અને વૃક્ષો બન્ને હેરાન
સ્માર્ટ સિટી કહેવાતા વડોદરા શહેરમાં તંત્રના અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પ્રજા સતત પરેશાન થઈ રહી છે. શહેરમાં રોડ–રસ્તા હોય કે ગટર, કે પછી પાઈપલાઇનની કામગીરી — ઘણા કામો માત્ર કેબીનમાં બેઠા બેઠા ‘કાગળ પર’ નિરીક્ષિત થઈ જાય છે, જ્યારે વાસ્તવિક સ્થળ નિરીક્ષણ, વિભાગો વચ્ચેનું સંકલન અને ગુણવત્તા નિયંત્રણ લગભગ નાબૂદ સમાન છે.
તાજેતરમાં સુસેનથી નવીનો કંપની સુધી પાઇપલાઇન નાખ્યા બાદ રોડ પર ગાડા પુરવાની કામગીરી દરમિયાન મોટા પથ્થરો ફેંકી દેવામાં આવ્યા હતા, અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ પથ્થરો સીધા વૃક્ષોના થડ સુધી નાખીને કાર્પેટિંગ કરી દેવાયું છે. શહેરના અનેક વિસ્તારોમાં આવી જ બેદરકાર અને પર્યાવરણ વિરોધી કામગીરીથી પ્રજા અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
- વૃક્ષ પણ સજીવ છે — તેને શ્વાસ લેવાની જગ્યા જોઈએ
- પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૃક્ષોના થડ સુધી ચણતર, પેવર બ્લોક કે સિમેન્ટ ભરાઈ જવાથી:
- જમીનનું વાયુચલન બંધ થઈ જાય છે
- વૃક્ષને પાણી, ઓક્સિજન અને જરૂરી પોષક તત્વ મળતા નથી
- લાંબા ગાળે વૃક્ષ સુકાઈ જવાની અને નષ્ટ થવાની શક્યતા વધી જાય છે
વૃક્ષ પણ સજીવ છે અને તેને જીવવા માટે એટલી જ જરૂરિયાત હોય છે જેટલી માણસોને. દુનિયાભરના મોટા શહેરો — જેમ કે લંડન, ટોક્યો અને સિંગાપોર — આ બાબતમાં અત્યંત સંવેદનશીલ છે. ત્યાં દરેક વૃક્ષની આસપાસ મલ્ચિંગ રિંગ, માટીની ખુલ્લી જગ્યા અને રૂટ એરેશન સિસ્ટમ રાખવામાં આવે છે, જેથી ઝાડો શહેરના કૉન્ક્રીટ જંગલમાં પણ આરોગ્યપૂર્ણ રહી શકે.
વડોદરાની હેરિટેજ ગ્રીન પ્લાનિંગની પરંપરા, આજે ખતમ થતા આગળ વધી?
જણાવી દઈએ કે વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના સમયમાં બોટની નિષ્ણાંતોની સલાહ અનુસાર શહેરનું ગ્રીન પ્લાનિંગ કર્યું હતું. બગીચા અને શેરીઓમાં વૃક્ષારોપણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતું હતું. કયા વિસ્તારમાં કયા જાતના ઝાડ વાવવાના—તેની વિશિષ્ટ માર્ગદર્શિકા હતી.
પરંતુ આજે પરિસ્થિતિ ઉલટ છે. નિષ્ણાંતો દ્વારા કોનોકાર્પસ જેવા વૃક્ષો ન વાવવાની સ્પષ્ટ ચેતવણી હોવા છતાં તેની અવગણના થઈ. હવે તો વૃક્ષોના થડ સુધી કૉન્ક્રીટ, પથ્થરો અને પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે — જેને જોઈને પર્યાવરણ પ્રેમીઓમાં સ્વાભાવિક રોષ જોવા મળી રહ્યો છે.
પર્યાવરણ પ્રેમીઓનો પ્રશ્ન — સ્માર્ટ વિકાસ કે સ્માર્ટ વિનાશ?
ફૂટપાથની વચ્ચે આવતા વૃક્ષોની આસપાસ ચણતર થઈ જવું, કે સુસેન–નવીનો સર્કલ રોડ પર તાજેતરમાં જ થયેલી કામગીરીમાં વૃક્ષોના થડ સુધી કાર્પેટિંગ કરી દેવું — આ બધું દર્શાવે છે કે શહેરમાં વિકાસ નામે પર્યાવરણના મૂળભૂત નિયમો સુધીની અવગણના થઈ રહી છે.
પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે:
- તંત્ર સ્થળ નિરીક્ષણ વધારે સખત બનાવે
- વૃક્ષોની આસપાસ ઓછામાં ઓછી 2–3 ફૂટ ખુલ્લી જગ્યા અનિવાર્ય બનાવે
- નિષ્ણાતોની સલાહ લઈને જ કોઈપણ રોડ–વર્ક અથવા યુટિલિટી વર્ક મંજૂર કરવામાં આવે
- વૃક્ષને નુકસાન પહોંચાડતી તમામ કાર્યોને તરત અટકાવી સુધારણા કરાય
વડોદરાની ગ્રીન હેરિટેજને બચાવવી આજે સમયની માંગ છે. વિકાસ જરૂરી છે—પણ એ એવો વિકાસ હોવો જોઈએ જે પ્રજાને સુવિધા આપે અને વૃક્ષોને પણ જીવન આપે.
