વડોદરા શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર કચેરી, ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન, વડોદરા ખાતે આજે કુલ 108 મોડીફાઇડ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો.આ કાર્યવાહી દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ, તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ, પી.આઈ. સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાહનમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવવું મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહિત કૃત્ય છે. આવા સાઇલેન્સરથી અત્યધિક ઘોંઘાટ થાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે છે. ખાસ કરીને દર્દી, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ પર તેની નકારાત્મક અસર પડે છે. ઉપરાંત, અતિશય અવાજથી વાહન ચાલકોનું ધ્યાન ભટકવાની શક્યતા રહેતી હોવાથી માર્ગ અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે.ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને બુલેટ સહિતના વાહનોમાં લગાવવામાં આવતા મોડીફાઇડ સાઇલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મોડીફાઇડ સાઇલેન્સર લગાવનાર વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે, પરંતુ કેટલાક વાહન ચાલકો દંડ ભરી ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે. જેથી આવા મોડીફાઇડ સાઇલેન્સર રિમૂવ કરી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવ્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને વાહનમાં માત્ર કંપની દ્વારા મંજૂર (સ્ટાન્ડર્ડ) સાઇલેન્સરનો જ ઉપયોગ કરે. ભવિષ્યમાં પણ આવા નિયમભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છે.
