નર્મદા જિલ્લામાં AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોએ હુમલો કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા ભરબજારમાં જીવલેણ હુમલો થતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સદનસીબે નિરંજન વસાવા આ હુમલામાં સલામત બચી ગયા હતા. ઘટના અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા જવાબદાર પર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ચૈતર વસાવાએ જણાવ્યું કે બે દિવસ અગાઉ નિરંજન વસાવાએ “રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે” તેવું નિવેદન મિડીયામાં આપ્યું હતું. આ નિવેદનથી ઉશ્કેરાયેલા બુટલેગરો, તથા કેટલાક રાજકીય નેતાઓના ઇશારે, ભરબજારમાં નિરંજન વસાવાની ગાડી રોકી હુમલો કર્યો હતો. હુમલા બાદ નિરંજન વસાવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે બુટલેગરો અને ડ્રગ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની સલામતી કેવી હશે? તેમણે હુમલાખોરો પર તાત્કાલિક કડક પગલાં લેવાની માંગણી કરી હતી, તેમજ લિસ્ટેડ બુટલેગરોના ભૂતકાળના તમામ FIR આધારે તડીપાર અને પાસા જેવી કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી.
સ્થાનિક PIએ 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરીને હથિયારો અને વાહનો જપ્ત કરવાની ખાતરી આપી છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે આવનાર દિવસોમાં તેમની દરખાસ્ત કલેક્ટરને મોકલવામાં આવશે. સાથે જ, જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો નિરંજન વસાવા તથા તેમના પરિવારને સુરક્ષા મળે તે માટે આમ આદમી પાર્ટી SP કચેરીએ રજૂઆત કરશે.આ હુમલા બાદ નર્મદા, ભરૂચ, વડોદરા સહિતનાં વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે અને બુટલેગરો સામે સખત પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.
